સુંદરમ્

નામ

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

ઉપનામ

કોયા ભગત, સુંદરમ્

જન્મ

માર્ચ – 22, 1908; મિંયામાતર ( જિ. ભરૂચ)

અવસાન

જાન્યુઆરી – 13, 1991

અભ્યાસ

  • પ્રાથમિક – મિયામાતરમાં સાત ધોરણ સુધી
  • માધ્યમિક – આમોદ તથા ભરૂચમાં.
  • 1925-29 ગુજરાત વિધ્યાપીઠના સ્નાતક “ભાષાવિષારદ”

વ્યવસાય

  • શિક્ષણ અને અધ્યાપન
  • 1929 – સોનગઢ ગુરૂકુળમાં અધ્યાપક
  • 1934 – અમદાવાદ જ્યોતિસંઘમાં શિક્ષક
  • શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સાધના

જીવન ઝરમર

  • ગાંધીયુગના ફિલસુફ કવિ અને સાધક
  • સુંદરમ્ – ઉમાશંકરની જોડી ગણાતી
  • અભ્યાસ છોટુભાઈ પુરાણીની આમોદની શાળામાં
  • ભરૂચમાં સુપ્રસિદ્ધ વિવેચક વિશ્વનાથ મગનલાલ ભટ્ટના વિદ્યાર્થી
  • ‘સાબરમતી’ ના તંત્રી
  • 1969– ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • 1945 – શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સહકુટુંબ સ્થાયી થયા
  • અરવિંદ આશ્રમ – પોંડિચેરી ના ગુજરાતી ત્રિમાસિક ‘દક્ષિણા’ ના તંત્રી
  • યુવાન વયમાં સાવ નાસ્તિક એવા કોયા ભગતની કડવી વાણી [ હવે હરિ વૈકુંઠ જાઓ ] થી શરુ થયેલી અને મધ્યમાં થોડી શ્રધ્ધાયુક્ત બનેલી [ તને નમું , પત્થરને ય હું નમું – 1939 ] જીવનયાત્રા શ્રધ્ધા થી છલકતી યોગ્ય વ્યક્તિની કેવળ પૂજામાં [ શ્રી અરવિંદ!  શ્રી અરવિંદ ! હૃદય હૃદય, શ્રી અરવિંદ – 1967 ] સમર્પિત થઇ

દક્ષિણાનું પ્રતિક

sundaram_4.jpg

મુખ્ય રચનાઓ

  • કાવ્યસંગ્રહો – કોયા ભગવતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા,
  • બાલ કાવ્યો – રંગ રંગ વાદળિયાં
  • નવલકથા – પાવકના પંથે
  • વાર્તાસંગ્રહો – હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી
  • ચરિત્ર  – શ્રી અરવિંદ મહાયોગી
  • નિબંધ – ચિદંબરા, સા વિદ્યા
  • પ્રવાસ – દક્ષિણાયન
  • નાટ્યસંગ્રહ – વાસંતી પૂર્ણિમા
  • વિવેચન – અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, સાહિત્યચિંતન
  • અનુવાદ
    • આશ્રમ જીવન પહેલાં – ભગવદજ્જુકીયમ્ , મૃચ્છકટિક, કાયાપલટ, પરબ્રહ્મ
    • શ્રી. અરવિંદ ઘોષ – મહાકાવ્ય ‘સાવિત્રી’, ઉત્તરપાડા વ્યાખ્યાન, યોગ અને તેનું લક્ષ્ય, પૂર્ણ યોગનું તત્વ જ્ઞાન, સ્વપ્ન અને છાયા ઘડી, વિદેહીઓના વાર્તાલાપો
    • માતાજી – ભાવિ તરફ, ચાર તપસ્યાઓ અને ચાર મુક્તિ, સુંદર કથાઓ, અતિમાનસ, આદર્શ બાળક

સન્માન

  • 1934– રણજિતરામ સુવર્ણ ચન્દ્રક
  • 1946– મહીડા પારિતિષિક
  • 1955 – નર્મદ સુવર્ણ ચન્દ્રક
  • 1968– સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર
  • 1987 – ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સન્માન

સાભાર

  • ‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન
  • બૃહદ્ ગુજરાતી કાવ્ય સમૃધ્ધિ – ઇમેજ પબ્લીકેશન

કવિશ્રી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારસુંદરમ્

ભરૂચ જિલ્લાના મિયાંમાતર ગામના વતની અને 1945થી પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સાધકનું જીવન ગાળનાર કવિશ્રી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુંદરમ્’ (જન્મ: 22-03-1908, મૃત્યુ:10-01-1991) ગાંધીકાલિન કવિઓમાંના એક અગ્રણી કવિ છે. દેશના સ્વાતંત્ર્ય યજ્ઞના અદના સેવક રહ્યા હોવાના નાતે એમની કવિતાઓમાં વિશાળ માનવપ્રેમની લાગણી, પીડિતો પ્રત્યે અનુકંપા, રાષ્ટ્ર-મુક્તિનો ઉલ્લાસ સ્વાભાવિક્તાથી નિરૂપાયેલા લાગે. એમના કાવ્યો રંગદર્શી માનસની કલ્પનાશીલતાથી અને ભોવોદ્રેકની ઉત્કટતાથી આપણને સ્પર્શી જાય છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ એમની કવિતાના પ્રધાન વિષયો. કટાક્ષ-કાવ્યો, વાર્તાઓ, વિવેચન, નિબંધો, નાટકો, પ્રવાસકથા જેવા લખાણોમાં એમની બહુમુખી પ્રતિભા છલકાતી નજરે ચડે છે. કાવ્ય સંગ્રહો: ‘કોયા ભગતની કડવી વાણી’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’, ‘યાત્રા’, ‘વરદા’, ‘મુદિતા’, ‘લોકલીલા’, ‘દક્ષિણા-1,2′ જેવા વીસેક કાવ્યસંગ્રહો.

ચાલો “ઓરોગુજરાત” માં થોડાં કાવ્યોનું રસપાન કરીએ.

રંગ રંગ વાદળિયાં

આમ તો સુન્દરમ્ ના અનેક ગીતો યાદગાર છે. પણ આ બાળગીતમાં સુન્દરમ્ ની બાળક બનીને ગીત લખી શકવાની શક્તિના દર્શન થાય છે. સુન્દરમ્ નું આ બાળગીત આપણા શ્રેષ્ઠ બાળગીતોમાંથી એક છે.

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

– સુન્દરમ્

The Pilgrim of Night

I made an assignation with the night;
In the abyss was fixed our rendezvous:
In my breast carrying God’s deathless light
I came her dark and dangerous heart to woo.
I left the glory of the illuminated mind
And the calm rapture of the divinised soul
And traveled through a vastness dim and blind
To the gray shore where her ignorant waters roll.
I walk by the chill wave through the dull slime
And still that weary journeying knows no end;
Lost is the lustrous godhead beyond time,
There comes no voice of the celestial Friend,
And yet I know my footprints’ track shall be
A pathway towards immortality.

Sri Aurobindo

રાત્રિનું કાળું અને ડરામણું હૈયું જીતવા છાતીમાં ઈશ્વરનો અમર્ત્ય પ્રકાશ લઈને હું ખીણમાં જ્યાં અમારી મુલાકાત નક્કી કરાઈ હતી ત્યાં જવા નીકળ્યો. પ્રકાશિત મનનો વૈભવ અને દિવ્ય આત્માના પ્રશાંત આનંદને છોડી દઈ હું વિશાળ ઝાંખા અને આંધળા પટને વીંધીને ભુખર કિનારે જ્યાં રાત્રિનાં અજ્ઞ જળ વહેતાં હતાં ત્યાં પહોંચ્યો. નિરસ કાદવમાં ઠંડાગાર મોજાંઓ કને થઈને હું નીકળ્યો પણ આ શુષ્ક મુસાફરીનો ક્યાંય અંત દેખાતો નહોતો. સમય પારની ઈશ્વરીય પ્રભા પણ ઓગળી ગઈ અને દિવ્ય મિત્રનો કોઈ અવાજ પણ આવતો નહોતો. છતાં મને ખબર હતી કે મારા પગલાંની કેડી મને એ જ મહાપથ ભણી લઈ જઈ રહી હતી જ્યાં અમૃતત્વ છે…

રાત્રિનો યાત્રી : અનુ. સુન્દરમ્

નિશા સહ સુયોજ્યું મેં મિલન; ખીણ પેટાળમાં
સુનિશ્ચિત કરાઈ તે મિલનકેરી ભૂમિ અમ:
અને અમર તે પ્રકાશ પ્રભુનો હું ધારી ઉરે
કરાળ તિમિરાળ એનું ઉર જીતવા સંચર્યો.

પ્રભામય મનસ્ તણા સકલ વૈભવોને તજી,
પ્રશાંત રસ દિવ્ય રૂપ થયલા તજી આત્મનો,
વિશાળ પટ ધૂસરા તિમિરના હું વીંધી પળ્યો
તટે ભુખર, જ્યાં જલો છલકી અજ્ઞ એનાં રહ્યાં.

હવાં વિરસ પંક ખૂંદત ભમું હું ટાઢાં જલો
સમીપ, પણ ના સમાપ્તિ ક્યહીં શુષ્ક યાત્રાની આ;
ત્રિકાલ-પર ઓસરી ય પ્રભુતા પ્રભા-સંભૃતા,
અને સ્વર ન દિવ્ય એ સુહૃદનો ય આવે લવ.

છતાં મન વિશે મને જ – પગલાંની કેડી મુજ
મહા સુપથ હા થવાની અમૃતત્વના ધામનો.

હંકારી જાસુન્દરમ

જૂની વાસી વિચારસરણીને તોડીને નવસર્જન તરફ આગળ વધવા હાકલ કરતું એ જમાનામાં બહુ જ પ્રખ્યાત થયેલું ગીત. ‘ઘણ’ પ્રતિકની પસંદગી કવિ પર સમાજવાદી વિચારસરણીની અસર બતાવે છે. ગીતનો લય એટલો બુંલદ છે કે વાંચકને પોતાની સાથે તરત જ ખેંચી લે છે.

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા.

મારી બંસીમાં….

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા.

મારી બંસીમાં….

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.

મારી બંસીમાં….

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.

ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !

અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.

.                          તોડીફોડી પુરાણું,
.                        તાવી તાવી તૂટેલું.

ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.

– સુન્દરમ્