ઊર્ધ્વ અને નિમ્ન જગતો- પૃ.3
પ્રશ્ન : પ્રત્યેક ક્રિયા, ભાવિ પણ, શું કુદરત દ્વારા નિર્મિત જ હોય છે ?
ઉત્તર : કુદરતમાં જુદા જુદા પરિબળોની એકબીજા પર થતી અસરોને લઇને પરિણામ નક્કી થતું હોય છે.
પ્રશ્ન : વસ્તુઓનું છેવટનું દર્શન શું એમ નથી સૂચવતું કે વ્યક્તિના જીવનની તમામ ભાવિ ઘટનાઓ તથા એનો સમય પણ ઈશ્વર દ્વારા નિર્મિત થયેલ હોય છે ?
ઉત્તર : જગનિર્માણનું કાર્ય ઇશ્વર મનોમય રીતે કરતા નથી. જગનિર્માણની યોજના એ તો એક રૂપક માત્ર છે. (લાક્ષણિક છે) હા, સ્વરૂપની ગતિવિધિમાંથી શેનું નિર્માણ થાય છે એ ઇશ્વર જુવે છે અને આમ, વસ્તુઓનું ભાવિ દર્શન તથા એની મંજૂરી ઊર્ધ્વમાં આવી રહેલાં છે.
પ્રશ્નઃ ઈશ્વરની શક્તિ, આપણે એનાં કાર્ય વિશે અભાન હોઈએ છતાં, હરેક સમયે આપણામાં કાર્ય કરતી હોય છે ખરી ?
ઉત્તર : હરેક સમયે તે દેખીતી રીતે કાર્ય કરતી નથી; મોટેભાગે. તે પ્રકૃતિને એ કાર્ય કરવા દેતી હોય છે.
પ્રશ્નઃ આપણી સમજશક્તિ (બુદ્ધિ)ની મલિનતાનું મૂળ કારણ શું છે ?
ઉત્તર : અજ્ઞાન અને અહંકાર.
પ્રશ્નઃ અજ્ઞાનમય પ્રવૃત્તિઓમાંથી બહાર નીકળી જઇને, ચેતનાને માતાજીના સંપર્કમાં મૂકી આપવા માટે હું ખૂબ જ આતુર છું. હું આ જે ઇચ્છું છું તે મારે કેવી રીતે મેળવવું ?
ઉત્તર : એ માટે ઉચ્ચ ચેતના પ્રત્યે અભિમુખ થવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એમ થવાથી એ ચેતનાનું અહીં અવતરણ થઈ શકે ને માતાજી પ્રત્યે એ ઉદ્ઘાટિત થઇ શકે. અહીં હું મનની ઊર્ધ્વ ભૂમિકાઓની વાત કરું છું. જે હંમેશ સામાન્ય મનોમય ભૂમિકાઓ કરતાં વધુ પ્રકાશમાન હોય છે.
પ્રશ્ન : પ્રાણમય સ્વરૂપો દેવોને એમની ભૂમિકાએ રહેવા દે છે એ કેવી રીતે ?
ઉત્તર : પ્રાણમય ભૂમિકા એ એક જગત નથી. ઘણાં જગતો છે.