26.ગીતાનો આદેશ
ગીતાનો આદેશ છે કે પ્રભુની પૂજા स्वकर्मणा (18.46)- એટલે કે પોતાના સ્વકર્મથી કરવી જોઈએ. આપણે પ્રકૃતિના સ્વધર્મ દ્વારા નિર્મિત કર્મોને ભગવાનને અર્પણ કરવાના છે. કારણકે સૃષ્ટિની સમસ્ત ગતિ તથા કર્મની સમસ્ત પ્રવૃત્તિ પ્રભુ દ્વારા જ ઉત્પન્ન થાય છે અને તેમણે જ આ સંપૂર્ણ જગતનો વિસ્તાર કરેલો છે અને સુષ્ટીઓને એકત્ર રાખવા માટે એટલે કે લોકસંગ્રહ માટે – લોકોને સંગઠિત રાખવા માટે તેઓ સ્વભાવ દ્વારા સમસ્ત કર્મનું ગઠન અને પરિચાલન કરે છે – તેને આકાર આપે છે.
આપણા આંતર અને બાહ્ય કર્મ વડે તેમની પૂજા કરવી – આ સંપૂર્ણ જીવનને પરમોચ્ચ પ્રભુ પ્રતિ એક કર્મયજ્ઞ બનાવી દેવાનો અર્થ છે આપણા સંકલ્પમાં, સત્વમાં અને પ્રવૃત્તિમાં એની સાથે એકતા પ્રાપ્ત કરવાનો માર્ગ છે. આપણું કર્મ અંતરમાં રહેલ સત્યને અનુસાર હોવું જોઈએ; તે કર્મને બાહ્ય કે કુત્રિમ માપદંડ ને અનુકૂળ બનાવી દેવું ન જોઈએ; તે કર્મ અંતર આત્મા તથા જન્મજાત શક્તિઓનું એક જીવંત અને સાચી અભિવ્યક્તિનું હોવું જોઈએ. કારણકે આપણી હાલની પ્રકૃતિમાં અંતર આત્માના જીવંત અને અંતરતમ સત્યનું અનુસરણ કરવાથી છેવટે અંતર આત્મા નું શાશ્વત સત્ય કે જે પરાપ્રકૃતિમાં રહેલ છે તેને પ્રાપ્ત કરવા માટે સહાયરૂપ બને. તે ઊર્ધ્વ, દિવ્ય પ્રકૃતિમાં આપણે પ્રભુ સાથે અને આપણા અંતરઆત્મા સાથે તથા સર્વભૂતો સાથે એકત્વમાં નિવાસ કરી શકીએ અને પૂર્ણતા પ્રાપ્ત કરી શાશ્વત ધર્મની મુક્તિમાં સ્થિર થઈને દિવ્ય કર્મના દોષ રહિત કરણ બની રહીએ.